Luke 11

1એમ થયું કે ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. ઈસુ પ્રાર્થના કરી રહ્યા પછી, તેમના શિષ્યોમાંના એકે ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, યોહાને તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું તેમ આપ પણ અમને શીખવો.’

2ઈસુએ તેઓને કહ્યું કે, તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ

3દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપો; 4અને અમારાં પાપ અમને માફ કરો; કેમકે અમે પોતે પણ અમારા હરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષામાં ન લાવો, પણ ખોટી બાબતોથી અમારો છૂટકો કરો.

5ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારામાંના કોઈને મિત્ર હોય, અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે, મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ, 6કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, અને તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી, 7તો શું, તે અંદરથી ઉત્તર આપતાં એમ કહેશે કે, મને હેરાન કરીશ નહિ, હમણાં બારણું બંધ છે, મારાં છોકરાં મારી પાસે ખાટલામાં છે, હું તો ઊઠીને તને તે આપી શકતો નથી? 8હું તમને કહું છું કે, તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઊઠીને તેને આપે નહિ, તોપણ તેના આગ્રહને લીધે તે ઊઠશે, અને જોઈએ તેટલી [રોટલી] તેને આપશે.

9હું તમને કહું છું કે, માગો, અને તમને આપવામાં આવશે; શોધો, અને તમને જડશે; ખટખટાવો અને તમારે સારુ ઉઘાડવામાં આવશે. 10કેમ કે જે કોઈ માગે છે તે પામે છે, અને જે શોધે છે તેને જડે છે, અને જે ખટખટાવે છે તેને સારુ ઉઘાડાશે.

11વળી તમારામાંના એવો કોઈ પિતા છે ખરો, જે છોકરો રોટલી માગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી [માગે] તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? 12અથવા જો તે ઈંડું માગે તો શું તે તેને વીંછી આપશે? 13માટે જો તમે ખરાબ હોવા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?’

14તે એક મૂંગા ભૂતને કાઢતા હતા. અને એમ થયું કે ભૂત નીકળ્યા પછી તે અગાઉ જે માણસ બોલતો ન હતો તે બોલ્યો. તેથી લોકોને આશ્ચર્ય લાગ્યું. 15પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, ‘ભૂતોના સરદાર બાલઝબૂલ [ની મદદ]થી તે ભૂતોને કાઢે છે,’

16બીજાઓએ પરીક્ષા કરતાં તેમની પાસે આકાશમાંથી નિશાની માગી. 17પણ ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને કહ્યું કે, ‘હરેક રાજ્ય જેમાં ફૂટ પડે છે તે ઉજ્જડ થાય છે; અને ઘરમાં ફૂટ પડે, તો તે પડી જાય છે;

18જો શેતાન પણ પોતાની સામો થયેલો હોય તો તેનું રાજ્ય કેમ તકે? કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલ[ની મદદ]થી હું ભૂતો કાઢું છું. 19જો હું બાલઝબૂલ [ની મદદ]થી ભૂતો કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી ભૂતો કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. 20પણ જો હું ઈશ્વરની આંગળીથી ભૂતો કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે આવ્યું છે.

21બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે; 22પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેના પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે. 23જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું નથી કરતો તે ફેલાવે છે.

24અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી નીકળ્યા પછી નિર્જળ જગ્યાઓમાં વિસામો શોધતો ફરે છે; પણ તે ન મળતાં, તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ. 25અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું તથા શોભાયમાન કરેલું હોય છે. 26ત્યારે તે જઈને પોતાના કરતા દુષ્ટ એવા બીજા સાત અશુદ્ધ આત્માઓને સાથે લઈ આવે છે; અને તેઓ એકસાથે ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે.’

27એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, ‘જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.’ 28પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે.’

29સંખ્યાબંધ લોકો તેમની પાસે ભેગા થયા હતા ત્યારે તે કહેવા લાગ્યા કે, ‘આ પેઢી તો દુષ્ટ પેઢી છે; તે નિશાની માગે છે, પણ યૂનાની નિશાની વિના બીજી નિશાની તેને અપાશે નહિ. 30કેમ કે જેમ યૂના નિનવેહના લોકોને માટે નિશાનીરૂપ થયો, તેમ માણસનો દીકરો પણ આ પેઢીને નિશાનીરૂપ થશે.’

31દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને દોષિત ઠરાવશે; કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી, અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.

32નિનવેહના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેને દોષિત ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો; અને જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.

33કોઈ માણસ દીવો સળગાવીને તેને ભોંયરામાં કે માપ તળે મૂકતો નથી, પણ દીવી પર [મૂકે છે] એ માટે કે અંદર આવનારાઓ તેનું અજવાળું જુએ. 34તારા શરીરનો દીવો તારી આંખ છે; જયારે તારી આંખ સ્વચ્છ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે; પણ તે ખરાબ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ અંધકારે ભરેલું હોય છે; 35તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે. 36જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ હોય તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ [તારું આખું શરીર] પ્રકાશથી ભરેલું થશે.’

37ઈસુ બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નિમંત્રણ આપ્યું, ઈસુ તેની પાસે જઈને જમવા બેઠા. 38જમતાં પહેલાં ઈસુ નાહ્યા નહિ, તે જોઈને ફરોશી આશ્ચર્ય પામ્યો.

39પ્રભુએ તેને કહ્યું કે, ‘તમે ફરોશીઓ તો થાળી વાટકો બહારથી શુદ્ધ કરો છો; પણ તમારું અંતર જુલમ તથા દુષ્ટતાથી ભરેલું છે. 40અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું, તેણે અંદરનું પણ બનાવ્યું નથી શું? 41જે અંદર છે તે પ્રમાણે તમારે દાન અને જુઓ, પછી તમને બધું શુદ્ધ છે.

42પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો તથા રિયું તથા સઘળી ખાવાલાયક વનસ્પતિનો દશમો ભાગ આપો છો; પણ ન્યાયકરણ તથા ઈશ્વરનો પ્રેમ પડતાં મૂકો છો; તમારે આ કરવાં જોઈતાં હતાં અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.

43તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચોકમાં સલામો ચાહો છે. 44તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેના ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.’

45ત્યારે પંડિતોમાંના એકે તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઉપદેશક, એમ કહેવાથી તમે અમારું પણ અપમાન કરો છો.’ 46ઈસુએ કહ્યું કે, ‘ઓ પંડિતો, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહા મુસીબત પડે છે, અને તમે પોતે એ બોજાને તમારી એક આંગળી પણ લગાડતા નથી.

47તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, જેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા હતા. 48તો તમે સાક્ષીઓ છો, અને તમારા બાપદાદાઓનાં કામોને સંમતિ આપો છો; કેમકે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે [તેમની કબરો] બાંધો છો.

49એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું કે, હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ, અને તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે તથા સતાવશે; 50જેથી જગતના આરંભથી સઘળા પ્રબોધકોના વહેવડાવેલા લોહીનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવે; 51હા, હું તમને કહું છું કે ‘હાબેલના લોહીથી તે ઝખાર્યા જે હોમવેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવાશે.

52તમો પંડિતોને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર ગયા નહિ, અને જેઓ અંદર જતા હતા તેઓને તમે અટકાવ્યા.’

53ઈસુ ત્યાંથી નીકળ્યા, ત્યાર પછી શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે બોલવાને ઉશ્કેરવા લાગ્યા. તેમના મુખમાંથી કંઈ વાત પકડી લેવા સારુ તેઓ ટાંપી રહ્યા.

54

Copyright information for GujULB